Sunday 10 October 2021

કવિ કલાપી વિશે જાણવા જેવું




*"કલાપિ"*
 

પોતાની પત્નીએ જ પેંડામાં ઝેર ભેળવીને જેને ખવડાવ્યું એવા લાઠીના રાજા કલાપીનું જીવન, ૧૦૦% તમને નહીં ખબર હોય આ સ્ટોરી... આ વાર્તા....

પોતાની પત્નીએ જ પેંડામાં ઝેર ભેળવીને જેને ખવડાવ્યું એવા લાઠીના રાજા કલાપીનું જીવન, ૧૦૦% તમને નહીં ખબર હોય
૨૬મી જાન્યુઆરી, ૧૮૭૪, લાઠીનાં રાજ દરબારગઢ તેમજ શહેરમાં ઘેરઘેર આંબાનાં પાનનાં તોરણો બંધાયાં હતાં. દરબારગઢની ડેલીએ ઢોલને શરણાઈનાં સૂર રેલાઈને ગગન ગજવતાં હતાં, પ્રસંગ પણ એવોજ હતો. લાઠીનાં રાજા તખ્તસિંહજી ને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો હતો. ઠેર ઠેર આનંદ પ્રવર્તતો હતો.

નામ પાડ્યું સુરસિંહ. એ સુરસિંહ એટલે સૂરતાની વાડીનો મીઠો મોરલો, રાજવી કવિ “કલાપી”. કલાપી કંઈ જન્મથી કલાપી નહોતાં, પણ કવિ થવાનાં આશીર્વાદ લઈને અવતર્યા હતાં અને એ પ્રજા વત્સલ રાજવી તેમજ કવિ બનીને રહ્યા. રાજવી તરીકે તો લાઠીની પ્રજા યાદ કરેજ છે પણ કવિ તરીકે સમગ્ર ગુજરાત માટે તેઓ અવિસ્મરણીય પ્રેમ કવિ બની રહ્યા.

 

 
જેમનું જીવન પટ ટૂંકુ, માત્ર ૨૬ વર્ષ, પણ સર્જન પટ વિશાળ છે તેવા આપણાં લાડલા રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ઊર્ફે “કલાપી” માટે કવિતા એ ઉપાસના અને ઉપનિષદ સમાન હતી, કવિતા જ ભૂખ અને એજ તરસ, એજ એમનો વૈભવ, સાધના અને ઉપાસના બની રહ્યાં !

 
મોટા ભાઈ ભાવસિંહનું નાની ઉંમરે જ ઘોડા પરથી પડી જતાં થયેલાં અવસાન અને પિતા ૧૮૮૬માં દેવ થયા પછી સગીર વયે જ તેમનાં પર રાજ કારભારની જવાબદારી આવી પડી હતી. ૧૮૮૮માં માતા રામબા મૃત્યુ પામ્યાં ત્યારે તો માત્ર સૂરસિંહજી જ નહી પણ આખું લાઠી રાજ્ય ખળભળી ઉઠ્યું, કારણકે રાજા તખ્તસિંહજીને પણ ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતાં અને રાજમાતા રામબાને પણ ઝેર અપાયું હતું. આવી વિષમય રાજ ખટપટ સુરસિંહને વારસામાં મળી હતી.

જોકે, તેઓ આઠ વર્ષની ઉંમરથી, એટલે કે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે રહ્યા હતા. તેમનાં લગ્ન વખતે પણ કલાપી રાજકુમાર કોલેજમાં જ હતાં. ૧૫ વર્ષની ઉમરે તેમનાં લગ્ન થયાં. ૧૮૮૯નું વર્ષ તેમનાં જીવનનાં પરિવર્તનનું વર્ષ બની રહ્યું. રાજપૂતોમાં આજે પણ ખાંડા લગ્નની પ્રથા કાયમ છે.

 
કચ્છ રાજ્યનું સુમરી રોહા ગામ એ કચ્છ રાજ્યમાં સૌથી મોટી જાગીર હતી, જેની કચ્છનાં બાવન ગામો પર આણ પ્રવર્તતી હતી. રાજ્યનું ચલણ સ્વીકાર્ય પણ સત્તા નહી, એ રીતે રોહા એક સ્વતંત્ર રાજ્ય સમાન હતું. પોતાની કોર્ટ, પોતાનો જ વહીવટ. કચ્છમાં પહેલ વ્હેલી અંગ્રેજી સ્કૂલ અને બોર્ડીંગ રોહા જાગીરે શરૂ કરી હતી. એવી એ રોહા જાગીરનાં તેજસ્વી રાજકુંવરી રમાબા અને કોટડા સાંઘાણીનાં કુંવરી આનંદીબા ને લઇ સૂરસિંહનાં ખાંડા સાથે ઘુઘરમાળ બળદો સાથેની “વ્હેલું” લાઠી તરફ રૂમઝૂમ કરતી આગળ ધપી રહી હતી.

 
કલાપીની સૂચના હતી કે પહેલાં રોહા વાળાં રમાબા પોંખાય, પરંતુ કોટડા સાંઘાણીનાં કારભારી રાજરમત રમી ગયાં અને પહેલાં પોંખાયા આનંદીબા. નિયમ એવો કે જે રાણી પહેલી પોંખાય તે પટરાણી બને. રમાબા પટરાણી ન બન્યાં તેનો કલાપીને વસવસો નહોતો પરંતુ રમાંબાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી ગયું એ ધૂંધવાઈ ઉઠ્યાં અને ત્યાજ રોપાયાં રાજ ખટપટનાં બીજ અને દોરાઈ કલાપીની આયુષ્ય રેખા!

 
અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે, રમાબા, પતિ કરતાં આઠ વર્ષ મોટાં હતાં. સુરસિંહ સગીર વયનાં હોવાથી લાઠી અંગ્રેજોની હકુમત હેઠળ હતું, એટલે રાજ કારભારની તેમને ચિંતા નહોતી. બંને રાણીઓ અને રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી “મોંઘી” સાથે તેઓ રાજકોટમાં અભ્યાસ ચાલુ હોવાથી, ત્યાં બંગલામાં રહેવાનું રાખ્યું, રાજકુમાર કોલેજે પણ એ રીતે રહેવાની રજા આપી.

 
વર્ષ ૧૮૮૯, મહિનો ડિસેમ્બર, લાઠી રાજ દરબારગઢનો વિશાળ ચોક, લગ્ન પછીનો ઉત્સવ. અચાનક સુરસિંહજીને મધુર કંઠે કચ્છીમાં હલકથી ગાતી અને રાસ રમતી એક સોહામણી યુવતી નજરે પડે છે. કંઠ અને ગીતનાં બોલ તેમનાં હૃદયને સ્પર્શી જાય છે. તેમણે તરત તપાસ કરી અને જાણવાં મળ્યું કે એ તો રાણી રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી છે.

મોંઘી તરફ તેમનો વાત્સલ્ય ભાવ ઊભરાયો. મનમાં કંઈક ગાંઠ બાંધી. મોકો મળતાં પાસે બોલાવી અને કહ્યું “મોંઘી તું સરસ ગાય છે હો, ચાલ હું તને શુધ્ધ ગુજરાતી શીખવાડું” સાહિત્ય જગત સાક્ષી છે કે, મોંઘીને થોડાજ સમયમાં તેમણે પોતાની કવિતાઓ જ નહી પણ સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલ વાંચતી કરી દીધી, ગાતી કરી દીધી, કચ્છી ભાષામાં માત્ર એક જ “સ”નો ઉચ્ચાર સાંભળવા મળે છે. કલાપીએ મોંઘીને ત્રણેય ‘સ,શ, ષ’ ની ઓળખ આપી અને છંદ વસંતતિલકામાં ગવડાવ્યુંઃ

 
“પુષ્પો પરે ટપકતાં સુતુષાર બિન્દુ, ને સ્નિગ્ધ પાંખ ફુલની મકરંદ ભીની; અંધાર ઘોર વિધુહીન નિશાની શાંતિ, વા શ્વેત દૂધ સમ રેલ રૂડા શશીની;”

માત્ર ત્રણ મહિનામાં મોંઘીએ આ બધું આત્મસાત કરી લીધું. બસ પછી તો એ યાત્રા આગળ ને આગળ ધપતી રહી અને ૧૮૯૨ સુધીમાં તો મોંઘી સૂરસિંહજીનાં સાહિત્યનું સૌંદર્ય બનવાં લાગી હતી, જોકે આ વર્ષોમાં કવિ એ જે પ્રેમ કાવ્યો લખ્યાં તેનાં કેન્દ્રમાં સ્નેહરાગીણી રાણી રમાબા જ હતાં. તેમના જ શબ્દોઃ

“રમાં હું તમને ખૂબ ચાહું છું. તમારાં આગમન પછી મારાં દિલનાં બે ભાગ થઇ ગયાં છે. એ સાંભળીને રમાબા ચોંકી જાય છે. બે ભાગ? એવાં તેમનાં સવાલનાં જવાબમાં સૂરસિંહજી કહે છે કે, રમાં ચોંકો નહી, એક ભાગ સાહિત્યનો અને બીજો તમારો.”

પણ, પટરાણી તો આનંદીબા જ ને? રમાબા અંદર ઉછળી રહેલાં રાજ મોહને તક મળતાં સપાટી પર લાવવાનું ચૂક્યાં નહી. સુરસિંહજી તેમને સમજાવે છે કે, રમાં, છોડો આ રાજ ખટપટ, મને આ બધું નથી ફાવતું:

“તમારાં રાજ્દ્વારોનાં ખૂની ભભકા નથી ગમતાં, મતલબની મુરવ્વત જ્યાં ખુશામતનાં ખજાના ત્યાં;”

“રમાં, માત્ર પૂર્ણ પ્રેમ હોય તો બધું જ શક્ય બને છે. આપણે માત્ર પ્રેમ યોગી બનીએ. વડવાઓના હાથબળે મેળવેલી રાજગાદી કરતાં મારાં સ્વબળે મેળવેલી વિદ્યા આ ગાદી કરતાં હજાર દરજ્જે ઉત્તમ અને સુખદ છે. જ્ઞાન જ આપણને આનંદ અને મુક્તિ આપી શકશે.” રાજા પ્રેમ ઘેલો અને જ્ઞાન પિપાસુ હતો જયારે રાણી રાજ પિપાસુ.

રાજાને માત્ર પ્રેમ અને સત્ય નિતરતો પ્રેમ જ જોઈતો હતો, અને રાણી રમાબા એ સમજી જ ના શક્યાં અથવા તો પોતે સેવેલાં રાજ્સ્વાર્થની સાધનામાં વ્યસ્ત રહીને સુરસિંહજી મારાં સિવાય જશે ક્યાં એવા ભ્રમમાં રાચતાં રહ્યા. જયારે રમાબાએ પુત્ર પ્રતાપસિંહને જન્મ આપ્યો ત્યારે રાજમાતા બનવાનાં ઓરતાં જાગ્યા ! તેઓ ગમે તેમ કરીને સુરસિંહજી અને લાઠી રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા ઇચ્છતાં હતાં. સુરસિંહજી તેમને માત્ર પ્રેમ યોગી બનવાં સમજાવતાં હતાં, પણ રમાબા હ્રદયથી નહીં બુદ્ધિથી કામ કરતાં હતાં અને તેમનાં નસીબ જોગે આનંદીબાએ ત્રણ મહિનાં પછી કુંવર જોરાવરસિંહને જન્મ આપ્યો. રિવાજ એવો હતો કે જે રાણી પ્રથમ પુત્રને જન્મ આપે એ રાજમાતા બને. તેથી હવે રમાબા રાજ ખટપટમાં વધુ રસ લેવાં લાગ્યાં.

“મોંઘી યુવાનીમાં પ્રવેશી. ૧૮૯૩-૯૪ નું વર્ષ. મોંઘીનાં મન, બુદ્ધિ અને ચિત્તનો વિકાસ જોઈ ઠાકોર સુરસિંહજી ખૂબ જ પ્રભાવિત થયાં અને કહ્યું: “ આજથી તું મોંઘી નહીં, તારું નામ રહેશે શોભના, હા,શોભના. શોભના, મેં તને જેમ વાંચી છે, તેમ હવે તું મને વાંચ. તને મેં માટી માંથી પિંડ અને પિંડ માંથી પૂતળી બનાવી, હવે તું બની મારી શોભના!” એ સાથે ઠાકોર સાહેબનો શોભના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ પ્રણય ભાવમાં પલટાય છે અને રાગનું પાત્ર બને છે શોભના ને, સર્જાય છે “પ્રણય ત્રિકોણ”. સૂરસિંહજી ગાઈ ઉઠે છે:

“મ્હેં પૂતળી કંઈ છે ઘડી દિલમાં હજારો હોંશથી, એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો !, એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે ! તે કોઈ માશૂકને મુખે છે? એજ પૂછે બાવરો !”

આમ ૧૮૯૨થી તેમનું સાહિત્ય સર્જન સોળે કળાએ ખીલતું જોવા મળે છે. તેમાં પણ એજ વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્ર વ્યવહારનો પ્રારંભ થતાં તેમનાં સાહિત્ય સર્જનને બળ મળ્યું હોય તેવું જણાય છે. ધીરેધીરે તેમનું સાહિત્ય વર્તુળ વધતું જાય છે. મણીલાલ નભુભાઈ દ્વિવેદી, તેમને તો તેઓ તેમનાં જ્ઞાનગુરૂ માનતાં હતાં. તે ઉપરાંત બળવંત ઠાકોર, લલીતજી, ભોળા કવિ, કવિ મસ્ત, કવિ કાન્ત અને જટિલ તેમ જ બાલુનો સમાવેશ જોવા મળે છે.

તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપીયર, મિલ્ટન, ગટે જેવા લેખકોને પણ ભરપુર વાંચ્યાં. અંગ્રેજી સાહિત્ય મન ભરીને માણ્યું પણ તેની અસર તેમનાં સર્જન પર પડેલી જોવાં નથી મળતી. અલબત, તેમાંથી પ્રેરણા મેળવીને “માળા અને મુદ્રિકા” અને “નારી હ્રદય” જેવી નવલકથાઓ લખી. પરંતુ તેમનાં સર્જનનું ખરું પ્રેરક બળ તો તેમનું જીવન જ બની રહ્યું. અને તેમણે માત્ર ૨૬ વર્ષનાં આયુષ્યમાં ૨૫૯ કવિતાઓ એટલે અંદાજે ૧૫૦૦૦ પંક્તિઓ, ખંડ કાવ્યો, ઊર્મિ કાવ્યો, ગઝલો અને ઉત્તમ ગદ્યનું સર્જન કરી, ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધરાને અર્પણ કર્યાં.

૨૧ વર્ષની ઉંમરે તેમને સત્તાવાર લાઠીનું રાજ્યપદ સોંપાયું અને આપણાં કલાપી લાઠીનાં રાજા બન્યાં. અંગ્રેજોનો એવો નિયમ હતો કે રાજ્યપદ સોપતાં પહેલાં રાજાએ છ મહિનાં સુધી દેશ દર્શન કરીને ભારત દેશનો વાસ્તવિક પરિચય મેળવવો. સૂરસિંહજી માટે તો એ અત્યંત આશીર્વાદ સમાન સાબિત થયું. દેશના વિવિધ વિસ્તારોની માટીની સુગંધ, કાશ્મીર જેવા રમણીય પ્રદેશોમાં પ્રકૃતિનું પયપાન અને પત્ની રમાબાનો વિયોગ, આ ત્રણેય તત્વોને કારણે રોમાંચિત અને વ્યથિત સૂરસિંહજીએ પ્રવાસ દરમ્યાન ગુરૂને, મિત્રોને અને પત્નીને લખેલાં પત્રો ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય ખજાનો બની રહ્યા છે.

૧૮૯૪થી તેમની સર્જક મુદ્રા ઉપસે છે. ઊર્મિ, આઘાત, પ્રત્યાઘાત, પ્રકૃતિ, પ્રણય અને પ્રભુથી રસપ્રચૂર તેમનું સાહિત્ય સર્જન વિશ્વ ઐક્યનાં દર્શન કરાવે છે. ૧૮૯૬માં તેઓ કવિ કાન્તનાં સંપર્કમાં આવે છે. આ બધાં સર્જક તત્વોનાં કારણે ૧૮૯૬થી ૧૮૯૮ સુધીમાં તેમણે સર્જેલાં સાહિત્યનું ૭૦% સર્જન આ ગાળા દરમ્યાન થયેલું નોંધાયું છે. જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહી, છતાં પણ તેઓ પ્રજાનાં સુખ અને દુ:ખમાં સાથે રહ્યા. તેમની પ્રજા વત્સલતા “ગ્રામ્ય માતા” કાવ્યમાં ઉભરી આવે છે.

આવાં ઋજુ હ્રદયનાં રાજવીનું હૈયું રમાબા અને શોભના વચ્ચે ઝૂલતું થયું. રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે. એક તરફ રમાંબાની રાજ ખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભના મય થતાં જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે. રાજવી કવિના હ્રદયમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. રમાબાને અન્યાય ન થાય અને શોભના સચવાય પણ રમાબાને એ સંબંધો ક્યાંથી મંજુર હોય? એ પતિને સ્પષ્ટ કહી દે છે કે, શોભનાનો હાથ છોડી દો પરંતુ સુરસિંહજીનો જવાબ હતો: “ હાથ છોડવા માટે રાજપૂત ક્યારેય કોઈનો હાથ પકડતો નથી.”

રમાં, મારાં પ્રેમનો પડઘો હવે શોભનાજ ઝીલી શકે તેમ છે, હું તેને પ્રેમ કરું છું અને એ પ્રેમને સન્માન આપવાં હું તેની સાથે લગ્ન કરીશ.” રમાબા માટે આ વાત અકલ્પનીય હતી. તેમણે કહ્યું: એ કોઈ કાળે શક્ય નથી, હું લગ્ન થવાં નહી દઉં. રામ, તમે મારી સાથે આવેલી દાસી સાથે….ના, એ નહી બને”. રમાબા સુરસિંહજી ને રામ તરીકે જ સંબોધતાં. કવિ હ્રદય જખ્માયું, અને સરી પડ્યાં આ શબ્દો: “ તુને ન ચાહું, ન બન્યું કદી એ, તેને ન ચાહું, ન બને કદી એ; ચાહું છું તો ચાહીશ બેયને હું, ચાહું નહિ તો નવ કોઈને હું;”

રમાબા પર જાણે વીજળી પડી. પિયરથી રાજ ખટપટ શીખીને આવેલાં રમાબાએ મનમાં કંઈક ગાંઠ બાંધી. સુરસિંહજી મહાબળેશ્વર ગયાં કે તેમણે રોહાથી રામજી ખવાસને બોલાવી શોભનાને તેની સાથે પરણાવી દીધી અને ઠાકોરને મહાબળેશ્વર જાણ કરી. સુરસિંહજી ચીસ પાડી ઉઠ્યા: “રમાં, તમે આ શું કર્યું?” પણ, પંખીની ઉપર પત્થર ફેંકાઈ ગયો હતો! ભગ્ન હૃદયનાં કલાપીની કલમેથી આંસુ ઝરતી રચનાં સરી પડે છે: “તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયાં મહી તો ! રે રે ! શ્રદ્ધા ગત થઇ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે;”

શોભના તરફથી મનને પાછું વાળવું ક્યાં શક્ય હતું? દિલ પર અસહ્ય બોજ સાથે કવિનો કાવ્ય વિલાપ વધી ગયો. હવે જોવાં મળે છે, પ્રણય વૈરાગ્યથી રડતા કલાપી! વિલાપમાં પ્રેમનો આલાપ કરતા કલાપી ! સત્ય સ્વીકારવાથી પ્રેમની ઉપાસનાં ઉપનિષદ બની જાય છે, એવું સ્વીકારી, સમાધાન શોધતાં કલાપી ! કવિ રાગમાંથી ત્યાગ તરફ વળે છે. “અરે, આ ઈશ્ક કરવાથી અમારે હાથ શું આવ્યું ?” અને :

“દુ:ખી દિલદર્દને ગાતાં, જિગરની આહ માં લ્હાતા , ફના ઈશ્કે સદા થાતાં હવે હું આજ પરવાર્યો ! ન લૂછું એક આંસુ વા કહું હું લૂછવાનું ના ! હવે છો ધોધ ચાલે આ ! રડી રોતાં હું પરવાર્યો !

બસ, પછી તો પ્રજાનાં દુ:ખો સાંભળે અને પોતાનાં દુ:ખો કવિતામાં ઉતારે. એક જ સંકલ્પ કે બીજાને ટાઢક આપવાં બરફની જેમ ઓગળી જવું. પ્રણયની વેદનામાંથી “પ્રવીણ સાગર” પ્રગટે અને “કેકારવ” પણ ગુંજે.

૧૮૯૬-૯૭નો સમય. ભાવનગરનાં જીવણલાલની પ્રેસમાં તેમનાં કાવ્ય સંગ્રહ છાપવાં માટે કવિનાં ખાસ મિત્ર બાલુ બધાં કાવ્યો લાવે છે. સંપાદન બાલુએ કર્યું હોવાથી સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુંને જ સોંપે છે. પહેલું સુચન: બાપુ, સંગ્રહનું નામ “મધુકરનો ગુંજારવ” રાખીએ તો? કવિ જવાબ આપે છે: બાલુ, પણ આમાં હ્રદયનો ગુંજારવ ક્યાં છે? અન્ય એક મિત્ર એ સૂચન કર્યું કે, બાપુ, તમારું તખલ્લુસ “કલાપી” રાખીએ અને સંગ્રહનું નામ રાખીએ “કલાપીનો કેકારવ” બસ, ત્યારથી, લાઠીના એ રાજવી કવિ “કલાપી” તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવાં લાગ્યા.

પણ …પણ હજુ ઈતિહાસ કરવટ બદલવાં થનગની રહ્યો હતો. શોભનાનાં વિરહનાં અગ્નિમાં શેકાઈ રહેલાં કલાપી ફિલોસોફી, વેદાંત, ઈશ્વર, પ્રભુ વિરહ, પ્રભુ સ્મરણનાં આનંદ અને આધ્યાત્મમાં શ્રદ્ધા પરોવવાનાં પ્રયાસ કરી રહ્યા હતાં ત્યાં સાસરે પતિનો માર ખાતી અને અત્યંત દુ:ખી શોભનાનો પત્ર આવે છે: “મને નરકાગાર માંથી છોડાવો” પત્ર વાંચી કલાપીને આઘાત લાગે છે. ખૂબ જ વિચાર કર્યા પછી કલાપી પોતાનો નિર્ણય જાહેર કરે છે: “હું શોભનાને દુ:ખી થવા નહી દઉં, હું તેને છોડાવીશ અને તેની સાથે લગ્ન પણ કરીશ.” કલાપીનાં આ નિર્ણયથી રાણીવાસ સહીત દરબારગઢ હચમચી ગયો.

રમાબાનો તેમને સાથ નહોતો પણ કુશળ કારભારી તાત્યા સાહેબ તેમની સાથે રહ્યા. ૧૮૯૮માં કલાપી પ્રિયતમા શોભના સાથે લગ્ન કરે છે. લગ્નમાં પુરોહિત છે પણ અગ્નિ નથી. પુસ્તકની સાક્ષીએ બંને ફેરાં ફરે છે. કાકા જશવંતસિંહ આશીર્વાદ આપવાં હાજર હતાં. કવિ કાન્તને પત્ર લખીને કલાપી જણાવે છે કે, દર્દ વધતાં મારે આ સાહસ કરવું જ પડ્યું છે.

રમાબાને આઘાતમાંથી કળ વળી એટલે તેમનાં અંગત સચિવ કૃષ્ણલાલને કોઈ પણ રીતે આ લગ્નને પડકારવા આદેશ આપે છે પણ, ઘણી ખટપટ પછી પણ તેમનાં હાથ હેઠા પડે છે. અહીં કલાપી જે બન્યું તેનાથી ખૂબ જ ખૂશ હતાં. લગ્નથી પણ સંતુષ્ટ.

“શોભના, હવે હું ખૂબ ખૂશ છું. તું મારામાં અને મારી કવિતાઓમાં ઓગળેલી હશે, પણ તને સંબોધીને નહીં લખું, પહેલાં રમાં માટે લખ્યું હવે ઈશ્વર માટે. રસયોગ પછી હવે ઈશ યોગ. પ્રિય કે પ્રભુ નહી, પ્રિયા અને પ્રભુ, પ્રિયા વિના પ્રભુ કેમ પમાશે? ઓહ! રમાં, કેવો સ્નેહ? કેવો અંત! પ્રભુ ઈચ્છા ! એ ખટપટમાંજ રોકાયેલી રહી અને પીડા મારે – આપણે સહન કરી. એ મારી ગમે તેટલી ઉપેક્ષા કરે પણ સહી લેવું એ જ પ્રેમનું સન્માન છે. હવે વેદનાનો વિલય થયો છે. હવે વિલાપ નહી પ્રેમ અને પ્રભુનો આલાપ!”

અને એક દિવસ નડિયાદથી તાર આવે છે: “ઓહ, મણીલાલ ગયા !” કલાપી શોકમાં ડૂબી ગયા. તેમની સાથેનાં સાત વર્ષનાં સંબંધમાં કલાપીએ સાત જન્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે જ કલાપીને રાજધર્મ સમજાવી ગાદી ન છોડવાં કહ્યું હતું. એ મણીલાલ નભુભાઈ દ્વિવેદી સિધાવ્યાં અને એક રાત્રે શોભના સાથે નૌકાવિહાર કરતાં તેમની યાદમાં લખ્યું: “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની ! પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર ! ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની !”

અત્યાર સુધી કલાપીનાં દિવસો અને રાત્રીઓ બે રાણીઓ વચ્ચે વહેચાયેલા હતાં, શોભના સાથેનાં લગ્ન પછી, ત્રણ દિવસ શોભનાનાં, બે દિવસ રમાબાનાં અને બે દિવસ આનંદીબાનાં અને પાછું જમવાનું તો રમાબાનાં રસોડે જ. ૮ મી જૂન,વર્ષ ૧૯૦૦. શોભનાનાં સાનિધ્યમાં કલાપી. રમાબાનાં મહેલમાં જતાં પહેલાં: “શોભના, આ રાજપાટ છોડીને એવાં રાગમાં રંગાઇ જાઈએ કે આપણાં સર્વે કર્મો, કર્મો ન રહે. બસ, સૂરજનાં એક કિરણથી જેમ બધાં અંધકારો દૂર થાય છે એમ.

કારણકે, દરેક સંબંધને એક આયુષ્ય હોય છે, છેવટે કુદરત તો બધાને છૂટા કરવાની જ છે. શોભના, હું બહુ બોલી ગયો નહી ? ચાલ હું જાઉં રમાં રાહ જોતી હશે, જવાનું મન તો નથી થતું પણ શું કરું, જવું જ પડશે, ફરજ છે.” “મારાં જોગી ઠાકુર, સુખે સિધાવો અને ફરજમાં પ્રેમને પણ પરોવજો.” શોભનાએ વિદાય આપતાં કલાપીને કહ્યું. પણ તેને ક્યાં ખબર હતી કે કાળનાં ગર્ભમાં શું છૂપાયું છે ! તેની પાસેથી તેનાં પ્રાણપ્રિયની એ આખરી વિદાય બની રહેશે.

“આવી ગયા રામ !” રમાબાએ તેમનાં ઓરડે કલાપીને આવકાર આપતાં કહ્યું. આજે તમારાં માટે મેં મારાં હાથે પેંડા બનાવ્યાં છે, તમને એ ભાવે ને!” તમે મારું કેટલું ખ્યાલ રાખો છો રમાં ! રમાં, તમે સાંભળ્યું ને કે હું રાજપાટ છોડી ને ક્યાંક દૂર ચાલ્યો જવાં ઈચ્છું છું, તમે શું વિચાર્યું ? આવશો ને મારી સાથે? શોભના, આનંદી તમે અને કુંવર પ્રતાપસિંહ, કુંવરી રમણીકબા અને જોરુભા આપણે બધા જ.

ના, રામ, ના, બાળકો હજુ નાનાં છે, તેમને રાજ કેળવણી આપવાની બાકી છે અને હું પ્રતાપસિંહને યુવરાજ પદે જોવાં માગું છું. અને રામ, છોડો એ બધી વાતો અને આ પેંડા આરોગો, એમ કહી રમાબાએ પેંડો કલાપીનાં મોઢામાં નાખ્યો. આગ્રહ કરીને કે ગણત્રી પૂર્વક ત્રણ પેંડા તેમણે તેમનાં રામને ખવડાવી દીધા. થોડી જ ક્ષણોમાં પેંડા એ પોતાની અસર બતાવવી શરું કરી દીધી. કલાપી બેચેની અનુભવવાં લાગ્યાં તેમણે રમાબાને કહ્યું અચાનક આ શું? રમાં, હવે તો પેટમાં ચૂંક આવે છે, રમાં મને કંઈક થાય છે:

ઝેર, હળાહળ ઝેર ! શરીરમાં ફેલાતું જાય છે. વૈધ્યરાજે ઘી પીવડાવીને શરીરમાંથી ઝેર કાઢવાનાં કરેલાં સૂચનને રમાબા સૌનાં આશ્ચર્ય વચ્ચે ફગાવી દે છે. નજીકનાં શહેરો, રાજકોટ કે ભાવનગરથી ડોક્ટરને આવતાં કલાકો લાગી જાય છે અને એ પહોંચે છે ત્યારે કલાપી આખરી શ્વાસ લેતાં કહે છે: “હું જાઉં છું ! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહી ! સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહી ! સૌ ખુશ રહો જેમાં ખુશી! હું જ્યાં ખુશી તે હું કરું ! શું એ હતું? શું આ થયું ? એ પૂછશો કોઈ નહી.”

અને, ૯મી જૂન ૧૯૦૦નાં રોજ એ સુરતાની વાડીનાં મીઠા મોરલાએ પોતાની કળા સમેટી લીધી ને ત્યારે આખું ગુજરાતી સાહિત્ય રડી પડ્યું. આવી વિરલ પ્રતિભાને આજનાં દિવસે સાદર વંદન જ હોઈ શકે.

No comments:

Post a Comment