Showing posts with label સ્વામી વિવેકાનંદ. Show all posts
Showing posts with label સ્વામી વિવેકાનંદ. Show all posts

Friday, 1 May 2020

          સમર્પણ પૂરેપૂરું શકય નથી બનતું ..... 
      સ્વામી વિવેકાનંદ ના એ દિવસો ગરીબાઈને કારણે કષ્ટપ્રદ હતા. પિતાજી દેવું છોડીને અવસાન પામ્યા હતા .તેઓ રામકૃષ્ણ પરમહંસ પાસે જતા ત્યારે ઘણેભાગે ભૂખ્યા જ હોય. ઘરમાં અન્ન એટલું જ હોય..ક્યાં તો વિવેકાનંદ જમી શકે અથવા તો એમના માતાજી..વિવેકાનંદ માતાજીને કહી દેતા:''આજે તો મિત્રને ત્યાં ભોજનનું નિમંત્રણ છે.માતાજી જમી લેતા અને વિવેકાનંદ સડકો ઉપર ભૂખ્યા ભટકીને પાણી પી લઇ ઘરે આવી સૂઈ જતા.
       રામકૃષ્ણને ખબર પડી તો કહ્યું ;''પાગલ;આટલી મુશીબતો છે તો ભગવાનને શાને કહી દેતો નથી? કાલે આવી જા.મંદિરમાં આવીને કાલિમાને કહી દે..હાથ જોડી વંદન કરીને બધું કષ્ટ સંભળાવી દે ...બધી પીડાનો અંત આવી જશે."
        વિવેકાનંદ કહે: ''આપ કહો છો તો આવતી  કાલે હું આવી રહીશ."
        વિવેકાનંદ આવ્યા.મંદિરમાં ગયા.રામકૃષ્ણ બહાર બેઠા છે. વિવેકાનંદ હાથ જોડી વંદન કરતા કલાકો સુધી ઊભા રહ્યા.આંખમાંથી અશ્રુ વહી જતાં હતાં .પાછા બહાર આવી ગયા.રામકૃષ્ણજીએ દાદર પાસે પૂછ્યું: ''વાત થઈ..?''
        વિવેકાનંદ કહે: ''અરે,એ તો હું ભૂલી જ ગયો ...!"રામકૃષ્ણ: ''પાગલ ફરીથી  જા..વાત કરી આવ.'' વિવેકાનંદ પુન :ભીતર મંદિરમાં ગયા.વળી હાથ જોડી ઊભા રહ્યા.રુદન શરુ થઇ ગયું .કલાકો બાદ પરત આવ્યા .રામકૃષ્ણે પૂછ્યું ;"શું વાત કરી ?" 
     વિવેકાનંદ કહે ;"અરે એ તો હું ભૂલી જ ગયો !''  રામકૃષ્ણે ત્રીજી વાર વિવેકાનંદે મંદિરમાં મોકલ્યા. વિવેકાનંદ કહે:"ત્રીજીવાર પણ હું  તો ભૂલી જ જઈશ. કારણ કે ભગવાન પાસે જાઉં અને અન્ન માટે માંગણી કરું એવી તો કલ્પના જ નથી થઇ શક્તિ ! વિચારી પણ નથી શકતો કે ભગવાન પાસે આવી સુદ્ધ માંગણી થઇ શકે !"                               
     રામકૃષ્ણ પૂછે :"તો ભીતર જઈને તું કરે છે શું ? ત્યાં શાની માંગણી કરે છે ? અન્ન કેમ નથી માગતો ?'' 
    વિવેકાનંદ કહે :  ''માગવાનું ગમે તે હોય ... એ માંગણી કરવી જ કેવી ક્ષુલ્લક વાત છે .ત્યાં જઈને હું કહું છુ કે મને લઇ લો ...મને સ્વીકારી લો ...મને મિટાવી દો ...મને સભાળી લો ...ત્યાં જઈને હું કશુંય માંગી નથી શકતો ...ત્યાં તો હું આપી જ શકું ...મને લઈ લો કોઈ પણ રીતે ..મને સંભાળી લો કોઈ પણ પ્રકારે ...મને મિટાવી દો ...તમારામાં શમાવી દો મને ."
    રામકૃષ્ણ પૂછે છે ;" તો ત્યાં રડે છે શાને માટે ?" વિવેકાનંદ કહે :"રુદન એટલા માટે કે મારો અવાજ પૂર્ણ ગહનતાથી નથી આવતો .અન્યથા તો મારો સ્વીકાર થઇ જ જાય .કદાચ કશી ક્ષતિ રહી જાય છે ;કશોક બચાવ રહી જાય છે ..એથી સમર્પણ પૂરેપૂરું શક્ય નથી બનતું .એને લીધે મને રડવું આવી જાય છે .."
     સાભાર --પ્રસંગપર્વ ( પુસ્તકમાંથી )
     સંપાદક --ડૉ .દક્ષેશ ઠાકર 
      રામજીભાઈ હેમરાજભાઈ  રોટાતર