Sunday 2 October 2022

જુઓ શિક્ષણ વિભાગ દ્વારા શુ નિર્ણય લેવામાં આવ્યો

બાળકોની શૈક્ષણિક સિદ્ધિમાં વધારો કરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પીઅર લર્નિંગને વેગ આપવા માટે રાજ્યની દરેક શાળાઓમાં ધોરણ 3થી 12માં બાલવૃંદની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. 
જીતુ વાઘાણીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અપેક્ષિત Peer Learningને વેગ આપવા માટે, બાળકોની શૈક્ષણિક સિદ્ધિમાં વધારો કરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની દરેક શાળાઓમાં ધોરણ 3 થી 12માં ચાર જૂથમાં બાલવૃંદની રચના કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.' જ્યારે અન્ય એક ટ્વિટમાં એક તસવીર શેર કરવામાં આવી છે.

જેમાં લખેલું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અપેક્ષિત Peer learningને વેગ આપવા માટે રાજ્યની દરેક શાળાઓમાં ધોરણ 3થી 12માં બાલવૃંદની રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક શાળામાં બાલવૃંદ અંતર્ગત ચાર જૂથ હશે, જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર બાળકોને ચાર જૂથમાં વિભાજીત કરવામાં આવશે. બાલવૃંદ અંતર્ગત પાયાગત વાચન, લેખન, ગણન તેમજ સામયિક મૂલ્યાંકન કસોટીઓની પૂર્વ તૈયારી, વિષયવસ્તુ આધારિત ક્વીઝ વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવશે. બાલવૃંદના માધ્યમથી પ્રાર્થનાસભા, વિશેષ દિન અને તહેવારની ઉજવણી, રમતગમત વગેરે જેવી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે. બાલવૃંદને લીધે શાળાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સહભાગિતા વધારી શિક્ષકોનું કાર્ય સરળ બનાવશે અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જૂથ ભાવના, જવાબદારીની ભાવના, આત્મ વિશ્વાસ વગેરે જેવા અનેક કૌશલ્યો ખીલવી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરશે.

પીઅર લર્નિંગ એ વિદ્યાર્થીઓની એકબીજા સાથે અને તેમની પાસેથી શીખવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિઓ જેમ કે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વર્કશોપ, અભ્યાસ જૂથો, પીઅર-ટુ-પીઅર લર્નિંગની ભાગીદારી અને જૂથ કાર્યના માધ્યમથી સુવિધા આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, પીઅર-ટુ-પીઅર લર્નિંગ ત્યારે થાય છે જ્યારે એક અથવા વધુ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને શીખવે છે.

No comments:

Post a Comment